આજના સમયની ભાગદોળવાળી જિંદગી અને ખોટી ખાવાની આદતોના કારણે દરેક માણસ નાની મોટી સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે. આવામાં આપણે આપણા શરીરને સારી રીતે સાચવવું ખુબજ જરૂરી બની જાય છે. આથી આ માહિતીમાં તમને દહીના પોષક તત્વો અને કયા લોકો માટે દહી ખૂબ જ ફાયદાકારક છે તે વિષે જણાવીશું.
સૌ પ્રથમ તમને જણાવીએ કે દહીંમાં કેલ્શ્યમ, મેગ્નેશ્યમ, પોટેશ્યમ અને ફોસ્ફરસ જેવા ખનિજ તત્વો તેમજ વિટામીન એ, વિટામીન બી વન, બી ટુ, વિટામિન સી અને પ્રોટીન સારા પ્રમાણમાં જોવા મળે છે. બજારુ દહીં કરતા ઘરે બનાવેલું, સારી રીતે જામેલું અને સ્વાદમાં સહેજ મીઠાસ પડતુ દહીં ખાવા માટે શ્રેષ્ઠ માનવામાં છે.
બજારમાંથી લાવેલું દહીં વધુ પડતું ખાટું હોય તો ન ખાવું જોઈએ. હવે આપણે જાણીએ કે કયા લોકો માટે દહીં નું સેવન ખુબજ ગુણકારી સાબિત થાય છે.
જે લોકોને જમ્યા પછી ખોરાકનું પાચન બરાબર રીતે થતું નથી અને જેના કારણે અપચો, ગેસ કે પેટમાં દુખાવાની ફરિયાદ રહેતી હોય તેમના માટે દહી દવા થી પણ વધારે ફાયદાકારક છે. આ માટે તમારે બપોરે જમતી વખતે એક વાટકી દહીમાં ધાણાજીરુ અને ચપટી મરી પાઉડર ઉમેરીને ખાવાથી પાચન સારી રીતે થાય છે.
જેને શરીરમાં કેલ્શિયમની ઉણપ છે જેના કારણે તેમને હાડકાંની સમસ્યા જેવી કે હાડકા નબળા પડી જવા, કે ઓસ્ટીઓપોરોસીસ ની ફરિયાદ હોઈ તેમણે એક વાટકી દહીમાં ઘઉંના દાણા જેટલો ખાવાનો ચૂનો મિક્ષ કરી સવારે આ દહીં ખાવું. અહીંયા એક વાતનું ધ્યાન રાખો કે જેમને અવારનવાર પથરી થતી હોય તેમને ખાવાનો ચૂનો ઉમેરવો નહીં.
દહીંમાંથી કેલ્શિયમ સારા પ્રમાણમાં મળતું હોવાથી મોટી ઉંમરના લોકોએ દરરોજ એક વાટકી દહીં ખાવાથી હાડકાં નબળા પડતા અટકે છે. દહીમાં પ્રોટીન અને કેલ્શિયમ ખૂબ સારા પ્રમાણમાં હોવાથી જે નાની ઉંમરના બાળકો છે તેમને દહીં આપવાથી તેનો શારીરિક વિકાસ ઝડપથી થાય છે.
જેમને દૂધ પીવાથી ઝાડા થઈ જતા હોય અથવા તો દુધનું પાચન બરાબર રીતે થતું ન હોય કે વાયુની ફરિયાદ રહેતી હોય તેમણે દૂધના બદલે મોળું દહીં ખાવું ખુબજ ફાયદાકારક છે. તમને જણાવીએ કે દહીં પચવામાં હળવું છે ,જેથી પાચન સારી રીતે થાય છે અને દૂધ ના બધા જ પોષક તત્વો દહીંમાંથી મળતા હોવાથી પોષક તત્વોની કમી રહેતી નથી.
તમને જણાવીએ કે શરીર માટે ફાયદાકારક એવા લેપ્ટોબેસીલસ બેક્ટેરિયા દહીંમાં રહેલા છે. જે લાંબી બીમારી દરમિયાન લેવાયેલી એન્ટીબાયોટિક દવાઓના નુકસાનથી શરીરને બચાવે છે. માટે જે લોકો એન્ટિબાયોટિક્સ દવાઓ લેતા હોય તેમના માટે દહીં નું સેવન આશીર્વાદ સમાન છે. વધુ પડતી દવાઓ શરીરમાં નુકશાન કરે છે.
દહીં આંતરડા માં રહેલા હાનીકારક બેક્ટેરિયાને દૂર કરી પાચનતંત્રને ક્રિયાશીલ બનાવે છે. દહીં આંતરડામાં જમા થયેલા ઝેરી તત્વોને દૂર કરી આંતરડાની પોષક તત્વો નું શોષણ કરવાની ક્ષમતાને વધારે છે. આ સાથે જ દહીં શરીરની રોગપ્રતિકારક શક્તિને જાળવી રાખે છે અને તમને નાના મોટા રોગોથી બચાવે છે.
જેમની ત્વચા નિસ્તેજ કે સુખી થઇ ગઈ છે, તેવો લોકો જો દહીંનું સેવન કરે અથવા તો ત્વચા પર દહીં અને મધ લગાવે તો ત્વચા સુંદર અને મુલાયમ બને છે. જેમને માથામાં ખોડો હોય તેમણે એક વાટકી દહીં માં બે થી ત્રણ ચમચી મેથીનો પાઉડર મિક્સ કરી વાળમાં લગાડી 25 મિનિટ બાદ વાળ ધોઈ લેવા. અઠવાડિયે એક વખત આ રીતે લગાવવાથી ખોડો દૂર થઈ વાળની લંબાઈ વધે છે અને વાળ મજબૂત થાય છે.