વધતી ઉંમર તેની સાથે ઘણી સમસ્યાઓ લાવે છે. જેમાં હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, દુખાવા, હાડકા તેમજ આર્થરાઈટિસનો સમાવેશ થાય છે. જો કે, પહેલા આ મોટી ઉંમરના લોકોમાં જોવા મળતું હતું પરંતુ, હવે યુવાનો પણ આ સમસ્યાઓનો શિકાર બની રહ્યા છે.
સંધિવા એક એવી સમસ્યા છે જેમાં વ્યક્તિના હાડકા અને સાંધામાં અસહ્ય દુખાવો થાય છે. જેના માટે તેમને દવાઓ અને ક્યારેક સર્જરીનો પણ સહારો લેવો પડે છે. આ સમસ્યા એવી છે કે અસરગ્રસ્ત ભાગને સ્પર્શ કર્યા પછી પણ દુખાવો થાય છે.
જો આર્થરાઈટિસ ખૂબ જ ખતરનાક સ્ટેજ પર ન હોય તો કેટલાક ઘરેલું ઉપચારથી પણ તેનાથી રાહત મળી શકે છે. આ ઉપાયોની મદદથી આર્થરાઈટિસના કારણે થતા દર્દની સાથે સાથે ખેંચાણ અને લાલાશની સમસ્યાને પણ દૂર કરી શકાય છે. તો આવો જાણીએ આર્થરાઈટિસના દુખાવામાંથી રાહત મેળવવા માટે ઘરેલું ઉપાય વિષે.
હળદર : હળદર એ પીડા રાહત માટે ખૂબ જ અસરકારક ઉપચાર છે. કારણ કે હળદરમાં કર્ક્યુમિન નામનું તત્વ હોય છે, જે દર્દમાં રાહત આપે છે. તો આર્થરાઈટિસનો દુખાવો ઓછો કરવા માટે સારું રહેશે કે આજથી જ રોજ 1 ગ્લાસ હળદરવાળું દૂધ પીવાનું શરૂ કરી દો.
આદુ : સંધિવાના દુખાવામાં પણ આદુ ખૂબ જ ફાયદાકારક છે. આદુમાં દુખાવો દૂર કરવાના ગુણ હોય છે. તો આર્થરાઈટિસના દુખાવાને ઓછો કરવા માટે દરરોજ આદુના રસમાં જીરું અને કાળા મરીનો પાવડર મિક્સ કરીને અસરગ્રસ્ત જગ્યા પર લગાવો. તેનાથી દુખાવામાં ઘણી રાહત મળશે.
સરસવનું તેલ : આર્થરાઈટીસના દુખાવાને ઓછો કરવા માટે સરસવનું તેલ સૌથી અસરકારક ઉપાય છે. આ માટે સરસવના તેલને સહેજ ગરમ કરો. જો તમે ઈચ્છો તો તેમાં લસણની કળીઓ પણ નાખી શકો છો, હવે આ તેલથી અસરગ્રસ્ત જગ્યા પર માલિશ કરો. આ તેલની માલિશ કરવાથી સાંધામાં રક્ત પરિભ્રમણ પણ વધે છે, જેનાથી દુખાવામાં રાહત મળે છે.
લસણ : જો તમે આર્થરાઈટીસના દુખાવાથી પરેશાન છો તો સવારે ખાલી પેટ લસણનું સેવન કરો, તેનાથી તમને થોડા દિવસો પછી હાડકાના દુખાવામાં રાહત મળશે. તમે ઇચ્છોતો લસણને શેકીને પણ ઉપયોગ કરી શકો છો. લસણની 4 થી 5 કળી ઘીમાં નાખો. થોડું રોક મીઠું ઉમેરીને તળી લો. આ શેકેલા લસણનું ભોજન સાથે સેવન કરો.